ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદના વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય દ્વારા તા. 21 જુલાઈ, 2026ના રોજ મહાન ગુજરાતી સાહિત્યકાર, જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા તથા ગુજરાત કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતિ નિમિત્તે વિશેષ પુસ્તક પ્રદર્શન (Book Display)નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કૃતિનો વિકાસ કરવો, ગુજરાતી સાહિત્યના અમૂલ્ય વારસાથી પરિચિત કરાવવા તથા ઉમાશંકર જોશીના જીવન, સાહિત્ય અને વિચારધારાથી વિદ્યાર્થીઓને અવગત કરાવવાનો હતો. ગુજરાત કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે ઉમાશંકર જોશીનો આ કેમ્પસ સાથેનો ઐતિહાસિક સંબંધ વિદ્યાર્થીઓ માટે ગૌરવ અને પ્રેરણાનો વિષય છે. આ હેતુને ધ્યાનમાં રાખીને તેમના જીવન, સાહિત્ય અને સર્જનને કેન્દ્રમાં રાખી પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.
પ્રદર્શનમાં ઉમાશંકર જોશી દ્વારા રચાયેલ કાવ્યસંગ્રહો, નિબંધસંગ્રહો, વિવેચન ગ્રંથો, અનુવાદો તેમજ તેમના જીવન અને સાહિત્ય પર આધારિત વિવિધ પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. પુસ્તકાલયના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને પ્રદર્શિત પુસ્તકો અંગે માહિતી આપી તથા તેમના સાહિત્યિક યોગદાનથી પરિચિત કરાવ્યા.







આ પુસ્તક પ્રદર્શન સવારે 10:30 કલાકથી સાંજે 4:00 કલાક સુધી પુસ્તકાલયમાં ખુલ્લું રાખવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કુલ 101 વિદ્યાર્થીઓએ પ્રદર્શનની મુલાકાત લઈને તેનો લાભ લીધો.
વિદ્યાર્થીઓએ પ્રદર્શિત પુસ્તકોનું રસપૂર્વક અવલોકન કર્યું, પસંદગીના પુસ્તકોનું વાચન કર્યું તેમજ ઉમાશંકર જોશીના જીવન, સાહિત્ય, કાવ્યસર્જન અને વિચારધારા અંગે પરસ્પર ચર્ચા કરી. આ ચર્ચા દ્વારા વિદ્યાર્થીઓને ગુજરાતી સાહિત્યની સમૃદ્ધ પરંપરા, ઉમાશંકર જોશીના સર્જનાત્મક યોગદાન અને તેમના માનવતાવાદી વિચારોને વધુ ઊંડાણપૂર્વક સમજવાની તક મળી. પુસ્તક પ્રદર્શન માત્ર પુસ્તકોના અવલોકન પૂરતું મર્યાદિત ન રહ્યું, પરંતુ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી સાહિત્યિક સંવાદનું એક અસરકારક માધ્યમ બન્યું.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ આવા પુસ્તક પ્રદર્શન અને સાહિત્યિક પ્રવૃત્તિઓનું નિયમિત આયોજન થવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી. પુસ્તકાલય દ્વારા ભવિષ્યમાં પણ મહાન સાહિત્યકારો, વૈજ્ઞાનિકો અને રાષ્ટ્રીય મહાનુભાવોની જન્મજયંતિ નિમિત્તે પુસ્તક પ્રદર્શન, વાચન-ચર્ચા અને જ્ઞાનવર્ધક કાર્યક્રમો યોજવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.
આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે અભિરુચિ વધારવા, પુસ્તકાલયના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ગુજરાતી સાહિત્યના મહાન સર્જક શ્રી ઉમાશંકર જોશીના જીવન અને સાહિત્યથી નવી પેઢીને પ્રેરિત કરવાનો હેતુ સફળતાપૂર્વક સિદ્ધ થયો.